ગુજરાતના બ્રહ્મશિક્ષકની સાફલ્યગાથા
રેતી... છીપલાં અને મોતી (આત્મકથા)
શ્રી મોતીભાઈ મ. પટેલ
[ પ્રકાશક: આર. આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ;
પ્રથમ આવૃત્તિ: 2017;
પૃષ્ઠ: 312;
મૂલ્ય: 300 rs]
ગુજરાતના બ્રહ્મશિક્ષકની સાફલ્યગાથા
રેતી... છીપલાં અને મોતી (આત્મકથા)
શ્રી મોતીભાઈ મ. પટેલ
[ પ્રકાશક: આર. આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ;
પ્રથમ આવૃત્તિ: 2017;
પૃષ્ઠ: 312;
મૂલ્ય: 300 rs]
હે, મહાદેવ શંભુ!
પ્રિયજન (નવલકથા)
શ્રી વીનેશ અંતાણી
[ પ્રકાશક: આર. આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ;
પ્રથમ આવૃત્તિ: 1980;
પૃષ્ઠ: 148;
મૂલ્ય: 160]
પુસ્તક પરિશીલન: પલ્લવી ગુપ્તા
પ્રિયજન
કથા: પ્રેમની, પ્રેમની
અનંતયાત્રાની.
શ્રી વીનેશ અંતાણી સંવેદનાઓના લેખક છે.
એમની કલમમાંથી ઉતરેલી સંવેદનાઓ હૃદયને માત્ર સ્પર્શતી જ નથી, પરંતુ
હૃદયમાં વસી જાય છે. વાચક દીર્ઘકાલ સુધી એ સંવેદનાઓથી પ્રભાવિત રહે છે. લઘુકથાથી
શરૂ થયેલી એમની લેખનયાત્રા આજે નિબંધ અને નવલકથાની ટોચ પર પહોંચી છે. વિશ્વ
સાહિત્યની અનેક ઉત્કૃષ્ટ કૃતિઓનો એમણે કરેલો ગુજરાતી ભાવાનુવાદ ભાષા વૈવિધ્યના
એમના જ્ઞાન તથા ભાવાભિવ્યક્તિમાં એમની નિપૂર્ણતાના દર્શન કરાવે છે.
ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક વિશેષ
વિક્રમ, એક જ અઠવાડિયામાં લખાયેલી તથા બીજા જ વર્ષે ગુજરાતી સાહિત્ય
અકાદમી તરફથી પુરસ્કૃત બે નવલકથાઓમાંની એક નવલકથા એટલે ’પ્રિયજન’ . શ્રી વીનેશ અંતાણી કહે છે કે, “સર્જકની દરેક કૃતિ પોતાની આગવી નિયતિ લઈને
જન્મે છે.” જણાવતા ગૌરવાનંદ થાય છે કે 1980 થી 2020 સુધી આ
પુસ્તક 18 વખત પુનર્મુદ્રિત થયું છે.
‘પ્રિયજન’ નવલકથા
જ્યારે મોતી દાદા અર્થાત્ મોતીભાઇ મ. પટેલ શ્રીએ મને મોકલી, કહ્યું, “આ
પુસ્તકની આવૃત્તિ જુઓ. આ પુસ્તક જેટલી વખત છપાયું છે, મેં
નવલકથા એટલી વખત વાંચી છે. ઉંમરની વધતી જતી પરિપક્વતાની સાથે-સાથે દરેક વખત આ
નવલકથાનો એક વિશેષ અનુભવ થતો રહ્યો છે. એ તું વાંચીશ, પછી જ
કંડારી શકીશ.”
‘પ્રિયજન’ નું વાંચન
એક રોમાંચક યાત્રા છે. 148 પાનાંનું આ પુસ્તક હાથમાં લીધા પછી લાગ્યું કે
એક જ બેઠકમાં પૂરું થઈ જશે. પરંતુ વાંચન જેમ જેમ આગળ વધતું, નવલકથાની
સંવેદનાઓ મને વારંવાર એના એ જ બિંદુ પર પાછી ખેંચી લાવતી. હું એ અનુભૂતિઓમાં
રોકાયેલી રહેતી. ચારુ અને નિકેત, ચારુ-દિવાકર, નિકેત-ઉમા, એમના
સંતાનો જાણે પાનાંમાંથી બહાર ઉપસી નજર સમક્ષ તાદૃશ્ય પોતાની પાત્રતા ભજવતા રહ્યા
હોય. આ પાત્રોની સમજદારી, લાગણીઓ પર તેમનો અંકુશ તથા અભિવ્યક્તિની પરિપક્વતા
પાને-પાને રોકી લેતા. મારા ખુદના વિચારો સાથે એમની અભિવ્યક્તિની તુલના કરવા માટે
હું વિવશ થઈ જતી. અલગ-અલગ કાલખંડોને લેખકે જે કલાત્મકતાથી એકસૂત્રતામાં પરોવી રાખી
છે, વાચકને નવલકથા માટે ચુંબકીય આકર્ષણ અનુભવાય છે જે અંતિમ
પંક્તિ સુધી જકડી રાખે છે.
‘પ્રિયજન’ એક અદ્ભુત
પ્રણયકથા છે. સામાન્યતઃ, પ્રેમકથાઓમાં પ્રેમને મળતી પીડા કે વેદનાની કથા હોય છે અથવા
પ્રેમના લીધે દાંપત્ય જીવનમાં અથવા દાંપત્યનાં લીધે પ્રેમના દમનની કથા હોય છે.
પરંતુ પ્રિયજન પોતાની સંપૂર્ણતા, પોતાના સંતુષ્ટ
અભિગમનાં લીધે એક ઐતિહાસિક નવલકથા બની જાય છે. અહીં કોઈ રિબાતું નથી. નથી પ્રેમને
કોઈ છળ, ઈર્ષ્યા, દ્વેષ કે
ષડયંત્રનો સામનો કરવો પડ્યો કે ના તો વાસ્તવિક દંપતીને કોઈપણ દુર્ગુણ સ્પર્શી ગયો.
આ એક એવી વિશેષ કથા છે જે સંપૂર્ણતામાંથી જન્મ લે છે.શ્રી વીનેશ અંતાણીએ ‘પ્રિયજન’માં
માનવીના એ અભિગમને પ્રસ્તુત કર્યું છે કે સંઘર્ષ માત્ર અપૂર્ણતા કે અસંતોષમાંજ નથી, ક્યારેક
બે પૂર્ણતા વચ્ચે પણ સંઘર્ષનો ઝબકારો થતો રહે છે.
શબ્દે શબ્દે સંવેદનાઓનું મોજું લઈ આવતી
આ નવલકથા, પ્રતીક અને કલ્પન વડે ભાવ ઉપસાવવાનું અલંકૃત વલણ ધરાવે છે.
કથામાં મુખ્ય ત્રણ પાત્રો છે; ચારુ, નિકેત અને
દરિયો. સંપૂર્ણ કથા દરિયાના સાંનિધ્યમાં રચાઈ છે. દરિયો પ્રેમનો શાનદાર પ્રતીક છે.
નજરની સમક્ષ દરિયો હોય તો નજરની સીમા ટૂંકી પડે, એ જ રીતે
પ્રેમીને પ્રેમ બહારની દુનિયા દેખાતી નથી. દરિયાના સહવાસનું પ્રત્યેક ક્ષણ
અવિસ્મરણીય હોય છે, એમ એક પ્રેમીનું તમામ સુખ પ્રેમાધીન બની રહે છે. નવલકથાની
શરૂઆત દરિયાથી થાય છે. પ્રથમ દૃશ્ય જ સંપૂર્ણ કથાને રૂપાત્મક ઉઘાડ આપે છે.
“ચારુ બારીમાંથી દરિયો જોઈ રહી.
એ દરિયો નિકેતને ખૂબ ગમતો. બારીમાંથી
દેખાતું દરિયાનું દૃશ્ય અહીંથી બે ભાગમાં વહેંચાઈ જાય છે. દિવાકરે આંગણમાં વાવેલું
સરુનું વૃક્ષ વચ્ચે આવે છે અને દરિયો બે ભાગમાં વહેંચાઈ જાય છે. દરિયાના અને મનના
તે વિભાગ પડી શકે? ચારુએ વિચાર્યું.” (પૃ. 1)
સૂક્ષ્મતાથી જોઈએ તો લેખકે અહીં જ
વાર્તાનો કેન્દ્રસ્થ સંવેદન મૂકી દીધો છે. દરિયો એ પ્રેમ છે, ચારુ અને નિકેતની સંવેદના છે. જીવનની આથમતી અવસ્થાએ પહોંચેલી ચારુ નિરાંતની ક્ષણે બેસીને
બારીની બહાર જ્યારે દરિયો જુએ છે, દિવાકરે વાવેલાં
સરુનાં વૃક્ષના લીધે બે ભાગ પડતા દેખાય છે. દરિયાના મોજાં કરતાં પણ વ્યાપક
સંવેદનાઓ ધરાવતાં એના મનની અંદર જુએ છે. ત્યાં પણ બે ભાગ પડી ગયેલા છે. ચારુ વહેંચાયેલી
છે, મધુર પ્રેમની સુવાસિત ક્ષણો તથા સ્નેહથી પ્રફુલ્લિત એના
ગૃહસ્થ જીવનની સ્મૃતિઓ વચ્ચે.
દરિયા ઉપરાંત નવલકથાના બે મુખ્ય પાત્રો
છે ચારુ, જેનો પતિ ગુજરી ગયો છે, સંતાનો
પોત-પોતાની દુનિયામાં ગોઠવાઈ ગયા છે અને હવે એકલી એના પિતાના બંગલામાં રોકાઈ છે, નિકેત, જે
નિવૃત્તિ બાદ, જીવનની ભાગદોડથી થોડો વિરામ લઈ, પત્નીથી
રજા લઇ એકાંત અને નિરાંતની શોધમાં પાછો એ જ પ્રદેશમાં આવ્યો છે જ્યાં એના જીવનની
મધુર સ્મૃતિઓ સંકળાયેલી છે. પોતાનું યૌવન વિતાવી જીવનની આગલી અવસ્થાના સરહદે ઉભેલા
બે પ્રેમીઓ, જે સંપૂર્ણ નવલકથાનો ભાર પોતાના ખભે ઊંચકીને ચાલે છે, તરુણકાળના
ટૂંકા સહવાસ પછી વિખૂટા પડી ગયા હતા. નવલકથાના પ્રથમ પ્રકરણમાં બંને આકસ્મિક એ જ
પ્રદેશમાં ફરીથી મળે છે જ્યાં એમનો પ્રેમ પાંગર્યો હતો. હોટેલમાં રોકાયેલા નિકેતને
ચારુ પોતાના બંગલામાં આવવાનું કહે છે. નિકેત પોતાનો સામાન લઈ આવી જાય છે. દરિયા
કિનારે આવેલો એ બંગલો, એ બારી, બારીની બહારનું
દૃશ્ય, રસ્તો, મંદિર એમનાં
પ્રેમના સનાતન સાક્ષી છે.
નવલકથા દરમિયાન બંને એકબીજાને પોતાના
જીવનની, જીવનસાથીની અનેક સ્મૃતિઓ વહેંચે છે. ચારુના જીવનમાં દિવાકર
અને નિકેતના જીવનમાં ઉમાએ જીવનસાથી તરીકે સ્થાન મેળવ્યું. બંને દંપતી સુખી, સમૃદ્ધ
અને સફળ જીવન વ્યતીત કરે છે. ચારેય પાત્રો આંખમાં અમી રાખી ઉષ્માથી પોતાનું ઘર
બનાવે છે. જ્યારે જ્યારે એ બન્ને પોતાના ગૃહસ્થ જીવનના સંસ્મરણો વાગોળતા હોય, એક અતૃપ્ત
અભિવ્યક્તિ તેમની વાતોને અલ્પવિરામ આપતી. કંઈક અધુરૂં છુટી જતું. સત્ય છે કે એક સંપૂર્ણ' સફળ દામ્પત્ય એમને મળ્યો. સમર્પિત જીવનસાથી મળ્યા. પરંતુ સુખની તમામ ક્ષણોમાં પણ
બન્નેએ પોતાના હર્યાભર્યા મનની અંદર એક ખૂણામાં ખાલીપો અનુભવતા રહ્યા છે. સફળતાની
ચળકતી ક્ષણોમાં પણ એકબીજાની અનુપસ્થિતિ એમને સાલતી રહી છે.
‘પ્રિયજન’ મનની અંદર
અને બહારની સંઘર્ષયાત્રા છે. ચારુ અને નિકેત ભૂતકાળના પ્રેમ-સુખ અને વર્તમાનના દંપતી-સુખ વચ્ચે સતત સંઘર્ષ અનુભવે છે.
સંઘર્ષ: પૂર્ણ પ્રેમ મેળવ્યાનો
સંઘર્ષ: એક તરફ અવિરત પ્રેમ અને એક
વિરહનો
સંઘર્ષ: બે પૂર્ણતા વચ્ચેનો
રેલના પાટાની જેમ જીવન આગળને આગળ વધતું
જાય છે. મન ક્યારેક આ પાટા પર તો ક્યારેક બીજા પાટા પર આંટા મારે છે. આ અસ્થિરતા
સંવેદનાઓને વિચલિત રાખે છે. મનનું આ વિચલન નવલકથાનું કુરુક્ષેત્ર છે.
આંતરમનની ગહેરાઇઓનું સચોટ આલેખન કરતી આ
નવલકથાનું મુખ્ય સંઘર્ષ ત્યાં એમના સંવાદોમાં આકાર લે છે. બંને
પ્રેમીઓને એક યુગ પછી મળ્યા છે. તેમના સુખમય જીવનનું દર્પણ બતાવી રહ્યા છે. અને
જેમને વિતાવેલી પ્રેમની તમામ મધુર ક્ષણો હજી તાજી યાદ છે, એ આજે પણ
ફરીથી પ્રેમનો એકરાર ઝંખે છે. એકબીજાથી દૂર રહીને પણ સતત એકબીજાની સાથે જીવતા
રહ્યા. જીવનસાથીના અવિરત, નિખાલસ મળતાં સ્નેહના ધોધ વચ્ચે પણ એકબીજાને ભૂલી બેવફાઈ
નથી કરી. હૃદયમાં જીવંત રાખી સતત પ્રેમ નિભાવતા રહ્યા. અપેક્ષા અને અભિવ્યક્તિ
વચ્ચે મજબૂત પરંતુ પાતળી સીમારેખા છે, જેને દૂર
કરી દેવાનો સંઘર્ષ સતત ચાલતો રહે છે. પરંતુ આ યુદ્ધથી બંને સ્વયં અજાણ છે. વાચક
એમની આ વિહ્વળતા અનુભવી શકે છે.
જેમ-જેમ કથા આગળ વધે છે, અનેક
પ્રશ્નો ઉકેલાતા જાય છે તથા નવા પ્રશ્નો ઉદભવતા રહે છે. અંત તરફ પ્રયાણ કરતા
કેટલાક સંવાદો ચારુ અને નિકેતની અપેક્ષાની સાથે-સાથે વાચકને પણ સંતોષ આપે છે.
i) ચારુ : “તને કશું જ નહીં
થાય. ને મરવું હોય તો ઉમાના ખોળામાં મરજે. મારી પાસે તો ખાવું જ પડશે. બધા
પુરુષો એવા!……. દિવસ આખો ડિસ્ટ્રીક્ટમાં ભટકી ભટકીને શરીર
ખલાસ કરી નાખ્યું હોય તોપણ રાત્રે ફ્રૂટ ના ખાવ, બરાબર જમો
પણ નહીં, સિગારેટ ફૂંકયા કરવાની અને-” (પૃ.120)
ii) નિકેત : “તું કોની વાત કરે છે, ચારુ? ખવરાવે છે મને ધમકાવે છે દીવાકરને?” (પૃ.120)
iii) જિંદગીના એક વિસ્તારને પાર કરી લીધા પછી ફરીથી ભૂતકાળના
પ્રિયપાત્રને અકસ્માતે મળ્યું હતું. જાણે અંદરબહારની ચાલેલી રમત હવે પ્રત્યક્ષ
રમાતી હતી. (પૃ.123)
iv) ચારુ : “જિંદગી આખી
દિવાકર સાથે જીવી તો પણ અંદર નિકેત પણ જીવ્યો. અત્યારે નિકેત સામે બેઠો છે તો અંદર
દિવાકર પણ સતત જીવાય છે.”
v) નિકેત: “એવું જ કંઈક.
જ્યારે જ્યારે તું મને યાદ આવી છે ત્યારે કોઇપણ જાતના મહોરા કે આવરણ વિના મેં એ
ક્ષણને ભરપૂર રીતે સંવેદી છે-એ વાતની કબૂલાત કરું છું.” (પૃ.125)
નવલકથાનું અંતિમ દૃશ્ય પણ પ્રતિકાત્મક
છે. ચારુને મળવા એનો પુત્ર આવવાનો છે ત્યારે નિકેતની હાજરી કોઈ ગેરસમજ ઉભી ન કરે
એટલે એ ત્યાંથી વિદાય લેવાનો નિર્ણય લે છે. એ જ સંધ્યાએ જે ટ્રેનથી પુત્ર આવશે એ જ
ટ્રેનથી નિકેતને જવાનું છે. એક સુખ નું આગમન અને એકની વિદાય. ચારુનું અંતિમ વાક્ય
તમામ અપેક્ષાઓ પૂરી કરે છે.
“તું જાય છે ને, નિકેત, એટલે અંદર
એવું લાગે છે કે જાણે દીવાકર આજે બીજીવાર મૃત્યુ પામી રહ્યા છે.” (પૃ.148)
પ્રિયજનનો વિરહ મૃત્યુની ગહનતા સાથે
જોડે છે. તે નિરાશા તરફ ન ધકેલાય તેથી પુત્રનું આગમન લેખકે સચોટ રીતે દર્શાવી
અંતને પકડી રાખી વાંચક વર્ગને સહજતાથી રોકી રાખ્યા છે.
‘પ્રિયજન’ નવલકથા
વાંચીને ‘પ્રિયજન’ શબ્દની ગરિમા
સમજાય છે.
-----------------------------------------
સંપર્ક :9408932943